Cabinet: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો 

સરકારે ખેડૂતોની આવક વધારનારો એક મોટો નિર્ણય  લીધો છે.

Cabinet: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો 

નવી દિલ્હી: સરકારે ખેડૂતોની આવક વધારનારો એક મોટો નિર્ણય  લીધો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક્સ અફેર્સ (CCEA) ની બેઠકમાં ઈથેનોલ ઉત્પાદન પર વ્યાજ સબસિડી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે. સરકાર ઈથેનોલ ઉત્પાદન કરનારી નવી કંપનીઓને 4573 કરોડ રૂપિયાની વ્યાજ સબસિડી આપશે. 

અનાજથી તૈયાર થશે ઈથેનોલ
અત્રે જણાવવાનું કે ઈથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે જેનો ઉપયોગ પેટ્રોલમાં ભેળવીને ગાડીઓમાં ઈંધણ  તરીકે થાય છે. ઈથેનોલનું ઉત્પાદન હાલ શેરડીથી  થાય છે પરંતુ હવે અનાજમાંથી પણ ઈથેનોલને તૈયાર કરવામાં આવશે. કેબિનેટે અનાજમાંથી ઈથેનોલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે શેરડી ઉપરાંત ચોખા, મકાઈ, ઘઉંમાંથી પણ ઈથેનોલ બનાવી શકાશે. જેનાથી ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરી શકાય. 

ઈથેનોલની ડિમાન્ડ આગળ વધશે
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે 2030 સુધીમાં પેટ્રોલમાં ભેળવવા માટે દેશને 1000 કરોડ લીટર ઈથેનોલની જરૂર પડશે. બીજા દેશોથી ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઓછી કરવામાં આવે તો હાલ ભારતની ક્ષમતા 684 કરોડ લીટર જ છે. વર્ષ 2013-14માં ભારતે 1500 કરોડ રૂપિયાનું ઈથેનોલ ખરીદ્યું હતું. હાલ 9169 કરોડની ખરીદી થઈ રહી છે. આગળ જઈને 19 હજાર કરોડ રૂપિયાની  ખરીદી કરાશે જેનો ફાયદો ખેડૂતોને મળશે. 

ખેડૂતોને થશે ફાયદો
સરકારના આ નિર્ણયથી દેશના ખેડૂતોને મોટો ફાયદો થવાની આશા છે. કારણ કે તેમને ધાન વેચવા માટે નવો વિકલ્પ મળશે. ભારત ચોખાનો નિકાસકાર છે. જ્યારે પેટ્રોલિયમનો ઈમ્પોર્ટર છે. આવામાં ચોખાથી ઈથેનોલ બનાવીને પેટ્રોલિયમ આયાતમાં પણ ઘટાડો કરી શકાશે. 

ખેડૂતોને સમયસર થશે ચૂકવણી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટના નિર્ણય અંગે જણાવ્યું કે કૃષિ ઉપજોથી તૈયાર થનારા ઈથેનોલ ઉત્પાદન માટે ડિસિટિલેશન ક્ષમતામાં વધારો કરવાની સંશોધિત યોજનાને મંજૂરી આપી દેવાઈ છે. જેનાથી નવા રોજગાર પેદા થશે અને ખેડૂતોને સમયસર ચૂકવણી થશે. 

ઈથેનોલનું ઉત્પાદન વધારવાનો ફાયદો
ઈથેનોલનું ઉત્પાદન વધવાનો ફાયદો એ થશે કે પેટ્રોલિયમ પદાર્થોની આયાતનો બોજો ઘટશે. ભારત  ઘરેલુ જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિવર્ષ લગભગ 8 લાખ કરોડ રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ આયાત કરે છે. પેટ્રોલ અને ડીઝલમાં ઈથેનોલ ભેળવવાથી ક્રુડ ઓઈલની આયાતમાં પણ ઘટાડો થશે. 

સરકારે વર્ષ 2022 સુધીમાં પેટ્રોલની સાથે 10 ટકા ઈથેનોલ ભેળવવાનું અને 2030 સુધીમાં 20 ટકા ભેળવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. સરકારના આ નિર્ણયથી હવે શેરડી ઉપરાંત અનાજ જેમ કે ચોખા, ઘઉં, મકાઈથી પણ ઈથેનોલનું ઉત્પાદન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news